પોરબંદરમાં કહેવાતા ‘પાકિસ્તાની જાસૂસી’ કેસમાં યુવાનને બે વર્ષ બાદ જામીન
(નિમેશ ગોંડલીયા)

પોરબંદર: પોરબંદરમાં ચર્ચિત બનેલા કહેવાતા પાકિસ્તાની જાસૂસી કેસમાં આરોપી યુવાનને બે વર્ષ બાદ કોર્ટ દ્વારા શરતો સાથે જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
એ ટી એસ અમદાવાદ દ્વારા મળેલી બાતમીના આધારે અધિકારી જાતે ફરીયાદી બની તા. 18/05/2024ના રોજ પોરબંદરના યુવાન જતીન જીતેન્દ્ર ચારણીયા સામે ગુનો દાખલ કર્યો હતો. ફરિયાદ મુજબ, આરોપી દ્વારા “અડવીકા પ્રિન્સ” નામથી ઓળખાતી વ્યક્તિ સાથે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક કરી નેવી અને કોસ્ટગાર્ડ સંબંધિત માહિતી મોકલવામાં આવી હોવાનો આક્ષેપ હતો. તેમજ તેના બદલામાં રૂપિયા 6 હજાર તેના ખાતામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આ કેસમાં એ ટી એસ દ્વારા આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો અને તે ત્યારથી જેલમાં જ હતો.
કેસ ટ્રાયલ પર આવતા અને ફરિયાદીની જુબાની પૂર્ણ થતાં આરોપી તરફથી એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્વારા એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, પોરબંદરમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી.
જામીન અરજી દરમિયાન બચાવ પક્ષ દ્વારા કરાયેલી ઉલટતપાસમાં કેટલાક મહત્વના મુદ્દા સામે આવ્યા હતા:
- “અડવીકા પ્રિન્સ”એ પોતે કલકત્તાની હોવાનો દાવો કર્યો હતો અને ગ્લોબલ કંપનીમાં નોકરી કરતી હોવાનું જણાવ્યું હતું.
- માહિતી માંગવાનું કારણ પણ કામ માટે જરૂરી હોવાનું જણાવ્યું હતું.
- ફરિયાદીએ સ્વીકાર્યું કે આ વ્યક્તિ પુરુષ છે કે સ્ત્રી, અથવા પાકિસ્તાની એજન્સી સાથે જોડાયેલી છે કે નહીં, તેની કોઈ સ્પષ્ટ માહિતી નથી.
- જે ફોટા અને વીડિયો આધારે ગુનો દાખલ થયો હતો, તે સામાન્ય વ્યક્તિને મોકલવામાં આવે તો ગુનો ગણાતો નથી.
- આરોપીના ખાતામાં આવેલા રૂપિયા પણ ભારતના ખાતામાંથી જ આવ્યા હોવાનો સ્વીકાર થયો હતો.
બચાવ પક્ષે દલીલ કરી હતી કે આરોપી દ્વારા કોઈ દેશવિરોધી ઇરાદા સાથે નહીં પરંતુ અજાણતા અને માનવ સહજ મદદરૂપ થવાના હેતુથી આ કાર્યવાહી થઈ હોઈ શકે છે, તેથી તેને દેશદ્રોહ તરીકે ગણાવી શકાય નહીં.
આ તમામ દલીલોને ધ્યાનમાં રાખીને નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શર્મા સાહેબે આરોપીને બે વર્ષના જેલવાસ બાદ શરતોને આધીન જામીન મંજૂર કર્યા છે.
⚖️ વકીલ મંડળ
આ કેસમાં આરોપી તરફથી પોરબંદરના જાણીતા એડવોકેટ્સ
દીપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા, નવધણ જાડેજા, ભુમી વરવાડીયા, ચાંદની મદલાણી, ભાવના પારધી અને રમેશ ગોઢાણીયા રોકાયેલા હતાં.
