પોરબંદર ખાતે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અમદાવાદ દ્વારા રૂરલ મીડિયા વર્કશોપ યોજાયો

પોરબંદર તા,૨૭. કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો,અમદાવાદ દ્વારા પોરબંદર ખાતે એક દિવસીય “વાર્તાલાપ” રૂરલ મીડિયા વર્કશોપ અને કેન્દ્રીય સંચાર બ્યૂરો, જૂનાગઢ દ્વારા ઈન્ટીગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું.સરકારના ૯ વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ અંતર્ગત સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી ગામડાંના છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે પત્રકારોને માહિતગાર કરતો એક દિવસીય “વાર્તાલાપ” રૂરલ મીડિયા વર્કશોપ તેમજ સરકારી યોજનાઓની માહિતી પોરબંદર જિલ્લામાં પ્રસરે તે અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

આ પ્રસંગે પોરબંદર જિલ્લા રૂરલના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુએ આજના સંચાર માધ્યમોને સમાજની આંખ અને કાન ગણાવતા જણાવ્યું હતું કે, મીડિયા લોકશાહીનો ચોથો અને મહત્વનો સ્તંભ છે.આજે મીડિયાથી દરેક માહિતી સરળતાથી લોકો સુધી પહોંચી રહી છે. અને પોરબંદર જિલ્લાનું મીડિયા ખૂબજ સહકાર આપે છે. આજે ડિજિટલ યુગમાં મીડિયા એક એવુ માધ્યમ બન્યું છે જેના આધારથી સાચી માહિતી પહોંચી રહી છે. અને સરકારશ્રીની યોજનાઓ વિશે જાગૃતિ લાવવાનું માધ્યમ બન્યું છે.

જાણીતા કટાર લેખક અને વક્તાશ્રી જય વસાવડાએ આ પ્રસંગે ડિજીટલ મીડિયાના ફાયદા ગેરફાયદા અંગે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, મસાલેદાર સમાચારોને માણવા ટેવાયેલા લોકોને સત્યસભર સમાચાર પ્રભાવી ભાષા અને રસપ્રદ લેખન શૈલી સાથે પીરસવામાં આવે તો તેમને ચોક્કસ ગમશે. માટે વર્તમાન સમયમાં પત્રકારોએ તેમની લેખન શૈલી ઉપર વધુ ધ્યાન આપવાની આવશ્યકતા છે. સરકારી યોજના કે સરકારની કોઈ બાબતને સ્પષ્ટતા સમાચાર પણ લોકો સુધી પહોંચાડવા પત્રકારોએ તેમની લેખન શૈલીને વધુ પ્રભાવક બનાવવાની આવશ્યકતા રહે છે. સમાચાર માહિતીપ્રદ હોવાની સાથે રસપ્રદ હોવા પણ એટલા જ જરૂરી બને છે. દર બીજી સેકન્ડે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ્સ પર સતત અપલોડ થતા રહેતા ન્યુઝ અને વ્યૂઝની વચ્ચે અટવાયેલા લોકોને પત્રકારો યોગ્ય માહિતી સાથેના સત્યસભર સમાચાર તેમની આકર્ષક શૈલીમાં પ્રસ્તુત કરીને પોતાની તરફ આકર્ષી શકે છે. પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા સમાચારનું પ્રસ્તુતિકરણ લોકોને આકર્ષવા માટેનું મજબૂત હથિયાર છે ત્યારે પત્રકારોએ સમયના બદલાવની સાથે સતત બદલાતું રહેવું પડશે અને સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરતા પણ થવું પડશે.

વાર્તાલાપમાં ઉપસ્થિત રહેલા યુવાન લેખકશ્રી અભિમન્યુ મોદીએ ડિજીટલ મીડિયા : પત્રકારત્વમાં આદર્શ પરિવર્તન વિષય પર બોલતા જણાવ્યું હતું કે, આજના સતત વહી રહેલા માહિતીના ધોધ વચ્ચે પત્રકારોએ વધુ સચેત થવાની આવશ્યકતા છે. શું લેવું, કેટલું લેવું અને તેને કેવી રીતે પ્રસ્તુત કરવું એ બાબતે પત્રકારોએ વધારે સજાગ પણે કામ કરવાની આવશ્યકતા ઊભી થઈ છે. ડિજિટલ માધ્યમોના વધી રહેલા વ્યાપ વચ્ચે મીડિયા જગતે પણ આ પરિવર્તનને સ્વીકારી સતત અપડેટ થવાની આવશ્યકતા ઊભી થઈ છે. ડિજિટલ પ્લેટફોર્મની નકારાત્મક બાજુને અવગણી તેના વ્યવહારુ, સુચારું સકારાત્મક અને સમાજલક્ષી ઉપયોગ માટે દરેક મીડિયા એ પોતાની જાતને તૈયાર કરવી પડશે. ડિજિટલ પ્લેટફોર્મને પડકાર ન ગણતા મીડિયા જગતમાં આવેલા એક પરિવર્તનનો ભાગ ગણી એ દિશામાં કાર્ય કરતા થવું એ દરેક પત્રકારની ફરજ પણ છે. ડિજિટલ પ્લેટફોર્મની તાકાતને ક્યારેય અવગણી શકાય નહીં અને આ સશક્ત માધ્યમનો યોગ્ય રીતે ઉપયોગ કરી પ્રત્યેક મીડિયાકર્મી તેના ક્ષેત્રમાં વધુને વધુ સફળતા પણ પ્રાપ્ત કરી શકે છે.

આ પ્રસંગે કેન્દ્રીય સંચાર બ્યૂરો, અમદાવાદના ઈન્ચાર્જ ડાયરેક્ટરશ્રી ચિરાગ ભોરણીયાએ પીઆઈબીની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું કે સરકારી યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચે એમાં મીડિયાની ભૂમિકા અગત્યની રહેલી છે. મીડિયાની ભૂમિકા નાગરીકોની જાગૃતિમાં પણ રહેલી છે. જાગરૂક નાગરિક દેશની સૌથી મોટી મૂડી છે.

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યૂરો, ક્ષેત્રિય કાર્યાલય, જૂનાગઢ દ્વારા ઇન્ટીગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત પોરબંદર ખાતે નવયુગ વિદ્યાલયમાં ચિત્ર સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધાના વિજેતાઓને વિભાગ દ્વારા મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!