ગુરુકુળ મહિલા આટર્સ એન્ડ કોમર્સ કોલેજ પોરબંદરમાં ગાંધી નિર્વાણ દિન સંદર્ભે મેમરી ગેમનું થયું આયોજન

રાજરત્ન શ્રેષ્ઠીશ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા આર્યકન્યા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળ મહિલા આટર્સ એન્ડ કોમર્સ કોલેજ પોરબંદરમાં તારીખ ૩૦/૦૧/૨૦૨૩નાં રોજ લાઈબ્રેરી વિભાગ દ્વારા ગાંધીજીના વિષય પર મેમરી ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહાત્મા ગાંધીજીએ તેમના પ્રારંભિક જીવનથી ખુબ જ સંઘર્ષ કર્યો પરંતુ તમામ દુખોને ધ્યાનમાં લીધા વગર તેમને પોતાનો માર્ગ બનાવ્યો અને તે આપણા સ્વતંત્રતાના ઇતિહાસનો ખુબ જ મહત્વપૂર્ણ ભાગ છે. અને તેમના આજ સંઘર્ષને ધ્યાનમાં લઈને વિદ્યાર્થીનીઓમાં કેટલી જાગૃતતા, નિરીક્ષણ શક્તિ અને તેમની યાદશક્તિ કેટલી છે તેનો ખ્યાલ આવે અને વિદ્યાર્થીની બહેનો ગાંધીજીના વ્યક્તિત્વને વધુ સારી રીતે સમજવા પ્રેરાય અને વાંચન તરફ અભિમુખ થાય અને તેમનામાં પુસ્તકો વાંચવાની રૂચિમાં વધારો થાય તથા ગ્રંથાલયનો વધુમાં વધુ ઉપયોગ કરે માટે ગુરુકુળ મહિલા આટર્સ એન્ડ કોમર્સ કોલેજ પોરબંદરમાં લાઈબ્રેરી વિભાગ દ્વારા ‘મેમરી ગેમ’ નું આયોજન કરીને મહાત્મા ગાંધીજીનાં નિર્વાણ દિને તેમને શ્રદ્ધાંજલી આપવામા આવી હતી. આ સ્પર્ધા ચાર રાઉન્ડમાં યોજવામાં આવી હતી. પહેલા રાઉન્ડમાં ગાંધીજી વિષય પર લખાયેલા વીસ પુસ્તકોના નામ બોર્ડ પર લખવામાં આવેલા ત્યારબાદ વિદ્યાર્થીનીઓને બે મીનીટનો સમય યાદ રાખવા માટે આપવામાં આવેલો અને તેમાંથી કેટલા નામ વિદ્યાર્થીનીઓને યાદ રહ્યા તે લખવાના હતા. બીજા રાઉન્ડમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના નામ બોલવામાં આવેલા અને તેમાંથી જેટલા નામ યાદ રહે તે લખવાના હતા. મહાત્મા ગાંધીજીની સાથે આઝાદી મેળવવા માટે જે સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે રહ્યા અને ભારતને આઝાદી અપાવી તેવા વીરોને યાદ કર્યા હતા. ત્રીજા રાઉન્ડમાં ભારતના રાજ્યોના નામ લખવાના હતા અને જેને ૨૫થી વધારે નામ લખ્યા તેને+૨ ગુણ બોનસ તરીકે આપવામાં આવેલા હતા. અને ચોથા રાઉન્ડમાં ગાંધીજીના 30 પુસ્તકો બતાવાવમાં આવ્યા હતા અને તેમાંથી કેટલા પુસ્તકોના નામ યાદ રહ્યા એ લખવાના હતા.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિન્સીપાલ ડો.અનુપમભાઈ નાગરના માર્ગદર્શન હેઠળ લાઈબ્રેરીયન છાયાબેન કીડીયા તથા લાઈબ્રેરી કમિટીના સભ્ય ડૉ. શાંતીબેન મોઢવાડીયા અને ડો.શર્મિષ્ઠાબેન પટેલે કર્યું હતું. સ્પર્ધાના નિર્ણાયક તરીકેની ફરજ હિન્દી વિભાગના વડા ડૉ.શાંતિબેન મોઢવાડીયા તથા ગુજરાતી વિભાગના મુલાકાતી વ્યાખ્યાતા પ્રો.દિપ્તીબેન સૂચકએ નિભાવી હતી. આ સ્પર્ધામાં કુલ ૪૫ વિદ્યાર્થીની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં, પ્રથમ ક્રમે રાજી કેશુભાઈ પરમાર, દ્વિતીય ક્રમે ક્રિષ્ના નેભાભાઇ ગોજીયા,અને તૃતીય ક્રમે વિરલ યોગેશભાઈ રાણાવાયા વિજેતા થયા હતા. વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે કુ. આરતી ઓડેદરા અને કુ. નિધિ વાજાએ કાર્ય કર્યું હતું અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.અમીબેન પઢીયાર દ્વારા કરવામાં આવ્યું હતું. આમ, સૌના સહિયારા પ્રયાસથી આ આયોજન સફળ રહ્યું હતું.
