મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં યોજાશે પદયાત્રા અને સાયકલયાત્રા
પોરબંદર ખાતે તા.૧૨ માર્ચના રોજ કૃષિ, ગ્રામ વિકાસ અને વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુની ઉપસ્થિતિમાં “આઝાદીનો અમૃત મહોત્સવ” કાર્યક્રમ યોજાશે
*********************
કીર્તિમંદિર ખાતે પુષ્પાંજલી, ચોપાટી ખાતે સફાઇ અભિયાન, વૃક્ષારોપણ, ઓર્ગેનિક ફુડ બજારનું ઉદ્ધાટન અને સ્ટેજ પ્રોગ્રામ સહિતના યોજાશે કાર્યક્રમો
*********************
જિલ્લા વહિવટીતંત્ર આયોજિત કાર્યક્રમના આયોજન માટે જિલ્લા કલેકટર ડી.એન.મોદીના અધ્યક્ષસ્થાને યોજાઇ અધિકારીઓની બેઠક
પોરબંદર તા.૧૦, આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણી કાર્યક્રમ “આઝાદીનો અમૃત મહોત્સવ” તા.૧૨ માર્ચ ૨૦૨૧ના રોજ પોરબંદર જિલ્લાકક્ષાનો કાર્યક્રમ કૃષિ, ગ્રામ વિકાસ અને વાહન વ્યવહાર મંત્રીશ્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને યોજાશે.
તા.૧૨ના રોજ સવારે ૮:૩૦ કલાકે કીર્તિમંદિર ખાતે મંત્રીશ્રી તથા મહાનુભાવો પૂજ્ય મહાત્મા ગાંધીજી અને કસ્તુબાની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરીને કીર્તિમંદિરથી ચોપાટી સુધી યોજાનાર પદયાત્રા અને સાયકલ યાત્રાનો મંત્રીશ્રી શુભારંભ કરાવશે. આ યાત્રા શહેરના અલગ અલગ રૂટ પરથી નિકળી ચોપાટી ખાતે પહોચશે જ્યાં સવારે ૯ કલાકથી સ્વચ્છતા અભિયાન રાજમહેલ પાછળ ચોપાટી ખાતે યોજાશે.
ગાંધી સ્મૃતિ ભવન ચોપાટી પાસે મંત્રીશ્રી તથા મહાનુભાવો સવારે ૯:૩૦ કલાકે વૃક્ષારોપણ કરશે. સવારે ૧૦ કલાકથી ચોપાટી ગ્રાઉન્ડ, ઓશીયોનીક હોટલની બાજુમાં મુખ્ય કાર્યક્રમ યોજાશે જેમાં મહાત્મા ગાંધીને પ્રિય ભજન અને ધુન સાથે કાર્યક્રમનો પ્રારંભ થશે મંત્રીશ્રી તથા ધારાસભ્યશ્રી બાબુભાઇ બોખીરીયા વકતવ્ય આપશે તથા વડાપ્રધાનશ્રીના વકતવ્યનું જીવંત પ્રસારણ કરાશે. તથા સાંસ્કૃતિક કાર્યક્રમનો આયોજન પણ કરવામાં આવ્યુ છે. ત્યારબાદ ગ્રામહાટ ખાતે મંત્રીશ્રી ઓર્ગેનિક ફુડ બજારનું ઉદ્ઘાટન કરશે
આ પ્રસંગે વિદ્યાર્થીઓ તથા સ્થાનિક કલાકારો દ્રારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે. કાર્યક્રમમાં પોરબંદર કલેકટરશ્રી ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.કે.અડવાણી સહિત અધિકારીઓ પદાધિકારીઓ તથા બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં અધિક કલેકટરશ્રી રાજેશ તન્ના, પ્રાંત અધિકારી કે.વી.બાટી, વિવેક ટાંક તેમજ નગરપાલિકા, આરોગ્ય, આઇ.સી.ડી.એસ, શિક્ષણતંત્ર સહિતનો કચેરી વિભાગોના અધિકારીઓ સંકલન કરી રહ્યા છે.
આજે કલેકટર ડી.એન.મોદીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમના આયોજન માટે અધિકારીઓની બેઠક મળી હતી જેમાં સંબંધિત કામગીરી માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં સહભાગી થવા જિલ્લા વહિવટીતંત્ર દ્રારા અનુરોધ કરવામાં આવ્યો છે.
