અમદાવાદમાં યોજાયેલ ભારતકૂલ મહોત્સવમા યુવા આર્ટિસ્ટ વિનીશા રૂપારેલે બે ચિત્રો પ્રદર્શિત કર્યા


ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા બંને ચિત્રોને દર્શકોએ બિરદાવ્યા
અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત મિડિયા ક્લબ દ્વારા આયોજિત ભાવ, રાગ અને તાલના સંગમ એવા ‘ભારતકૂલ’ મહોત્સવનો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો.
રવિવાર સુધી યોજનાર ચાર દિવસીય આ મહોત્સવમાં પોરબંદરના જાણીતા યુવા આર્ટિસ્ટ વિનીશા રૂપારેલે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા બે ચિત્રોનું પ્રદર્શન કર્યું હતું.
જેમા એક ચિત્રમાં ભારતીય નારી છે. જે કલા, શક્તિ, સાહસ અને પ્રેરણાનું પ્રતિક છે. જ્યારે બીજા ચિત્રમાં પરંપરાગત વેશમાં સજ્જ પુરુષ અને તેની આસપાસ ભારતના સાંસ્કૃતિક વારસાનું દર્શન થઈ રહ્યું છે. તેમા અજંતા ઇલોરાની ગુફાઓ, હમ્પીના પ્રાચીન મંદિર, તાજમહેલ, લાલ કિલ્લો, વારાણસી ઘાટ અને ગંગા નદી સહિત ભારતીય સંસ્કૃતિને કલાના માધ્યમથી ઉજાગર કરી યુવા આર્ટિસ્ટ વિનીશાબેને જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિને કલાના માધ્યમથી ઉજાગર કરવી મને ગમે છે. યુવા પેઢી કલા તરફ વળે અને તેઓને પ્રેરણા મળે તે માટે સરકાર પણ પ્રયત્નશીલ છે અને કલાકારો પણ નવોદિત કલાકારોને પ્રોત્સાહિત કરે છે. પ્રદર્શનમાં આવતા દર્શકો મારી કલાને બિરદાવી રહ્યા છે તે મારા માટે ખુશીની વાત છે.
ભારતકૂલ મહોત્સવમાં ધાર્મિક, શાસ્ત્રીય સંગીત, પત્રકારત્વ સંસ્કૃતિ, ફિલ્મોની સંસ્કૃતિ, રંગભૂમિને લગતી સંસ્કૃતિ, ચિત્ર પ્રદર્શન, શિલ્પ પ્રદર્શન, રંગયાત્રા, ફોટોગ્રાફી એક્ઝિબિશન, ભારતીય વિજ્ઞાન સંસ્કૃતિના કાર્યક્રમો, રાષ્ટ્રીય-નિર્માણ અંગેના કાર્યક્રમો રવિવાર સુધી યોજાશે.
