જેસીઆઈ દ્વારા ઓપન પોરબંદર ચેસ ટુર્નામેન્ટ યોજાઇ
બાળકો, યુવાનો અને સિનિયર સિટીજનો ઉત્સાહભેર જોડાયા



જેસીઆઈ પોરબંદર દ્વારા ઓપન પોરબંદર જિલ્લા કક્ષાની ચેસ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ચેસની રમતના શોખીનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા.
જેસીઆઈ પોરબંદર દ્વારા વ્યક્તિત્વ વિકાસના અનેક કાર્યક્રમોના આયોજન સમયાંતરે કરવામાં આવે છે, તેના ભાગરૂપે બુદ્ધિ વિષયક પ્રોજેકટ ઓપન પોરબંદર ચેસ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ ટુર્નામેન્ટમાં બાળકો, યુવાનો અને સિનિયર સીટીઝન એમ જુદીજુદી ચાર કેટેગરીમાં ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 150 જેટલા સ્પર્ધકોએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. સવારથી સાંજ સુધી છ રાઉન્ડમાં તમામ સ્પર્ધકોએ પોતાનામાં રહેલ બુદ્ધિકૌશલ્યનો ઉપયોગ કરી આ રમતને ખૂબ જ રસપ્રદ બનાવી હતી. તમામ સ્પર્ધકોને ભાગ લેવા બદલના પ્રમાણપત્ર અને જુદી જુદી દરેક કેટેગરીના વિજેતાઓને સિલ્ડ અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઇવેન્ટને સફળ બનાવવા પ્રમુખ રાધેશ દાસાણી, સેક્રેટરી સમીર ધોયડા, પ્રોજેકટ ચેરમેન કેવલ પટેલ, કપિલ વિઠ્ઠલાણી, ધૈર્ય દત્તાણી અને જેસીઆઈ પોરબંદરની સમગ્ર ટીમેં જહેમત ઉઠાવી હતી. આ સ્પર્ધામાં ટેક્નિકલ સપોર્ટ માટે સિનિયર નેશનલ આર્બીટર મૈત્રેય સોનેજીએ સેવા આપી હતી. આ સમગ્ર ટુર્નામેન્ટ એફઆઈઈડી માન્ય સ્વીઝ પદ્ધતિથી રમાડવામાં આવી હતી.
ઓપન પોરબંદર જિલ્લા કક્ષાની આ ચેસ ટુર્નામેન્ટના ભવ્ય આયોજન બદલ જેસીઆઈની સમગ્ર ટીમને સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા અને પૂર્વ પ્રમુખ બિરાજ કોટેચાએ અભિનંદન આપ્યા હતા.
