પાકિસ્તાનની જેલમાં બંધ 200 ભારતીય માછીમારોની તાત્કાલિક મુક્તિ માટે વિદેશ મંત્રીને રજૂઆત

પાકિસ્તાનની જેલોમાં વર્ષોથી બંધ રાખવામાં આવેલા આશરે 200 ભારતીય માછીમારોને તાત્કાલિક મુક્ત કરી પરત લાવવા માટે માછીમાર સમુદાય તથા તેમના સ્વજનો દ્વારા કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરને રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, આ માછીમારોમાંના મોટાભાગના ગુજરાત, દીવ અને મહારાષ્ટ્રના રહેવાસી છે. જેમાંથી અંદાજે 160 માછીમારો તેમની સજા પૂર્ણ કરી ચૂક્યા છે તથા તેમની ભારતીય નાગરિકતા લાંબા સમયથી પ્રમાણિત છે. તેમ છતાં, ભારત-પાકિસ્તાન વચ્ચેના 2008ના કૉન્સ્યુલર એક્સેસ કરાર મુજબ એક મહિનામાં મુક્તિ અને વતન વાપસી થવી જોઈએ તે શરતો છતાં તેઓ હજુ જેલમાં કેદ છે.
આ માછીમારોના પરિવારજનો વર્ષોથી સંપર્ક વિહોણા હોવાને કારણે ગંભીર માનસિક અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. અનેક માછીમારોની તબિયત પણ ચિંતાજનક હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
રજૂઆતમાં નીચેની મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે:
તમામ ભારતીય માછીમારોની તાત્કાલિક મુક્તિ અને વતન વાપસી આરોગ્ય સારવાર અને માનવતાવાદી આધાર
કેદ માછીમારો અને તેમના પરિવાર વચ્ચે સંપર્ક સુવિધા
ન્યાયિક સમિતિ (Joint Judicial Committee)ને ફરી સક્રિય કરવી
પાકિસ્તાન દ્વારા જપ્ત કરાયેલી ભારતીય માછીમારી નૌકાઓ પરત આપવા
માછીમારોના પરિવાર માટે આર્થિક સહાય
માછીમાર સમુદાયે આ મુદ્દાને માનવતા અને ગૌરવ સાથે જોડાયેલો ગણાવી સરકારને તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે.
