
ભાજપ તરફથી રાજ્યસભાની પેટાચૂંટણી માટે રામભાઇ મોકરિયા અને દિનેશ પ્રજાપતિએ ઉમેદવારી નોંધાવી.
ભાજપ તરફથી રાજ્યસભાની પેટા ચૂંટણી માટે રામભાઇ મોકરિયા અને દિનેશ પ્રજાપતિએ આજે પોતાની ઉમેદવારી નોંધાવી છે. ગાંધીનગર ખાતે વિધાનસભા સચિવાલયમાં ફોર્મ જમા કરવવા માટે આ બંને ઉમેદવાર ગયા ત્યારે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ,નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ,ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને કૃષિ મંત્રી આર. સી ફળદુ સહિતના વરિષ્ઠ મંત્રી ત્યાં હાજર હતા. કોંગ્રેસ કે અન્ય પક્ષમાંથી ઉમેદવારી નોંધાવવા માટે હજુ સુધી કોઈ આગળ આવ્યું નથી. ભાજપના અભય ભારદ્વાજ અને કોંગ્રેસના અહેમદ પટેલના કોરોના બીમારીમાં અવસાન થવાને લીધે ખાલી પડેલી બે જગ્યા માટે આ પેટા ચૂંટણી યોજાઈ રહી છે. અભય ભારદ્વાજના અવસાન થી ખાલી પડેલી બેઠક માટે રામભાઇ મોકરિયાએ,જ્યારે અહેમદ પટેલના અવસાનથી ખાલી પડેલી બેઠક ઉપર દિનેશ પ્રજાપતિએ ઉમેદવારી નોંધાવી છે. મતદાન માટે પહેલી માર્ચ નક્કી કરવામાં આવી છે. દિવંગત બંને સભ્યનો બાકી રહેલો કાર્યકાલ અલગ અલગ હોવાથી બંને બેઠક માટેનું મતદાન એક દિવસે પણ અલગ અલગ યોજવાની તજવીજ ચૂંટણી પંચે હાથ ધરી છે. મત ગણતરી પણ પહેલી માર્ચે મોડી સાંજે યોજી પરિણામ જાહેર કરી દેવાશે.
