પોરબંદરના રત્ન ઓધવજી ને આદરાંજલી ..
( આલેખન : નિમેષ ગોંડલીયા )દુનિયામાં આ ક્ષણે અનેક લોકો પોતાનું કાર્યકર્તા હશે અને પરિવાર સુખેથી રહે તેની ચિંતા કરી મહેનત કરતા હશે ઘણા લોકો એવા હોય છે કે જેઓ પરિવાર વિશે તો વિચારતા હોય છે પરંતુ દેશની ભાવિ પેઢીના ભવિષ્ય વિશે પણ ચિંતન કરતા હોય છે આવા એક પુરુષ પોરબંદરના થઈ ગયા જેમણે પોરબંદર માં શિક્ષણના બીજ રોપ્યા જેનો આજે અનેક વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે એ વ્યક્તિ છે ઓધવજીભાઈ નથુભાઈ મોઢા કે જે જીવનમાં સંઘર્ષ કરી આફ્રિકા ગયા અને પોતાની મૂડીમાંથી પોરબંદરમાં ઓધવજી નથુભાઈ મોઢા વિદ્યાલય ના નામે શિક્ષણ તીર્થની સ્થાપના કરી.

ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ તેમના જીવનમાંથી પ્રેરણા લીધા જેવી છે તો ઘણા વિદ્યાર્થીઓ એ આજે તેમની પ્રેરણા ને લીધે જીવનમાં સફળતા મેળવી છે આવો જાણીએ આદરણીય શ્રી ઓધવજીભાઈ નથુભાઈ મોઢાના જીવનના સંસ્મરણો.
ઓધવજી નથુભાઈ મોઢા નો જન્મ 05/04/1912 ના રોજ ગુજરાતના ભાણવડ તાલુકાના મેવાસા ગામે થયો હતો પિતા નું નામ નથુભાઇ હતું તેઓ ગોરપદુ કરતા.અને માતાનું નામ મોતીબેન હતું . ઓધવજીભાઈ માતા-પિતા તથા એક બહેન સાથે રહેતા હતા જ્યારે ઓધવજીભાઈ એક વર્ષની ઉંમરના હતા ત્યારે એક દુઃખદ પ્રસંગ બની ગયો તેમના પિતાજી નથુભાઈ નો સ્વર્ગવાસ થયો તે સમયે બહેનની ઉંમર માત્ર પાંચ વર્ષની હતી આમ માતા અને બહેન સાથે ઓધવજી કેમ જીવન ગુજારશે ?તેવું વિચારી કુતિયાણાના માલ ગામમાં રહેતા ઓધવજી ના મામા તેઓને માલ ગામમાં લઈ આવ્યા તેઓ ચાલીને સ્કૂલે જતા દિવસો વીતતા ગયા અને તેઓ પોરબંદર સિફ્ટ થયા બહેનની ઉંમર લગ્ન કરવા જેટલી થઈ અને તેમના લગ્ન જંબુસર ગામે કર્યા પોરબંદર ની તાલુકા શાળા જે બ્રાન્ચ સ્કૂલ કહેવાય છે ત્યાં ધોરણ 1 થી 4 સુધી અભ્યાસ કર્યો અને અભ્યાસમાં ગણિતમાં હોશિયાર હતા શાળાના શિક્ષક નરસિંહ માસ્તર ઓધવજીને અનેક પ્રશ્નો પૂછતા અને તેમના બધા જવાબો સાચા પડતા એ સમયે ટ્યુશન પદ્ધતિ ન હતી. સવારે છ વાગ્યા માં ઊઠીને વાંચતા અને શાળામાં હોશિયાર વિદ્યાર્થીઓને પોરબંદરના રાણા સાહેબ ઇનામ પણ આપતા.

અભ્યાસ છોડી પાંચ રૂપિયા પગારે નોકરી શરૂ કરી
એક દિવસની વાત છે ઓધવજી ને માસીના દીકરાના લગ્ન પ્રસંગે માંડવા ગામે માતા સાથે જવાનું થયું અને લગ્ન પ્રસંગ પુરા કરી જ્યારે ઓધવજી માતા સાથે ઘરે આવ્યા ત્યારે એક નિર્ણય લીધો કે હવે મારે ભણવું નથી.આ સાંભળીને ઓધવજીના માતાજી મોતી બા એ પૂછ્યું તો શું કરીશ શું? ઓધવજી નો જવાબ હતો નોકરી કરીશ .બીજા જ દિવસે પોરબંદરમાં નોકરી શોધવા નીકળી પડ્યા અને શાંતિ ધનજી ઘેલા ની દુકાને જઈને પૂછ્યું કે મને નોકરીએ રાખશો ? શેઠે હા પાડી અને બંદા નોકરી કરવા માટે તૈયાર થઈ ગયા ફટાણા વાળા શાંતિ ધનજી ઘેલાની કરિયાણાની દુકાનમાં 14 વર્ષની ઉંમરનો આ યુવાન પાંચ રૂપિયા મહિને પગારમાં નોકરી માં જોડાય છે અને સતત એક વર્ષ સુધી નોકરી કરી આખી દુકાન નો કારોબાર સંભાળે છે જ્યાં તેને જીવનના અનેક પાઠ શીખવા મળ્યા અને વેપારની સુજબૂજ અને ગ્રાહક સાથેનો વ્યવહાર કેવી રીતે કરવો તે જાણવા મળ્યું નીતિમત્તા અને નિયમિતતાના સિદ્ધાંતો સાથે સરળ સ્વભાવે નોકરી કરી જેનાથી ખુશ થઈ શેઠે બીજા વર્ષે એક મહિનાનો ₹15 પગાર કરી આપ્યો. કામની આવડતનું આ પરિણામ હતું.
ઓધવજી ના મન માં આફ્રિકા !

એ સમયે ઓધવજીની જ્ઞાતિના અનેક લોકો આફ્રિકા નોકરી કરવા જતા હતા જેની વાતો સાંભળી ઓધવજીના મનમાં આફ્રિકા ઘર કરી રહ્યું હતું અને એકવાર આફ્રિકા જવું છે તેવો દ્રઢ નિશ્ચય કર્યો અનેક લોકોને આફ્રિકા જવું હોય તો શું કરવું કેમ જવું તે સવાલો કરવા લાગ્યા પરંતુ લોકો કહેતા કે તું એકનો એક દીકરો છું એટલે આફ્રિકા ન લઈ જવાય તું આફ્રિકા જઈશ તો માં નુ કોણ? માતાજી નીશાસો નાખશે
એવા જવાબો સાંભળી ઓધવજી નાસીપાસ ન થયા અને સતત પ્રયત્ન ચાલુ રાખ્યો પોરબંદર થી ભાણવડ ગયા અને ત્યાં રૂઘા મોદીની દુકાનમાં 15 રૂપિયાની આખો દિવસ નોકરી કરતા સવારે વહેલા છ વાગે ઉઠી દાતણ પાણી કરી નાઈ ધોઈને સીધા દુકાને જતા પણ સતત મનમાં આફ્રિકા જ ભમતું હતું
કેવી રિતે આફ્રિકા પહોંચ્યા ?

એક દિવસની વાત છે રૂઘા મોદી ની દુકાન સામે માધવજી રામજી ની દુકાન હતી તેમને ઓધવજી ની વાત સાંભળી અને કહ્યું આફ્રિકા જવું હોય તો ડિપોઝિટ પેટે રકમ મૂકી તમે આફ્રિકા જઈ શકો છો અને ગમે ત્યાં નોકરી મળી જશે આ વાત સાંભળીને ખુશ થયા પરંતુ એકવાર શેઠની મંજૂરી લેવી પડશે તેમ વિચારી શેઠની રજા લીધી અને શેઠ રઘા મોદી એ આફ્રિકા જવાની હા પાડી અને સફળતા મળે તેવા આશીર્વાદ આપ્યા 18 વર્ષની ઉંમરે સવા સો રૂપિયાની ટિકિટમાં ઓધવજી પોરબંદર થી સ્ટીમરમાં આફ્રિકાના પ્રવાસે નીકળી ગયા 20 દિવસનો રસ્તો હતો દરિયામાં આઠમા દિવસે મોંમબાસા આવે ત્યાં ત્રણ દિવસ રોકાયા અને ત્યારબાદ દારેસલામ આફ્રિકાના દાલગુન માં સ્ટીમર માંથી તેઓ ઉતર્યા ત્યારે એક માણસ આવી ડિપોઝિટ ની રસીદ લીધી અને ઓધવજીના એક જ્ઞાતિબંધુ વર્ષોથી આફ્રિકા રહેતા હતા અને રસોઈ નું કામ કરતા હતા તેમની જોડે કામ મળ્યું ઓધવજીભાઈ ગરમાગરમ દાળ ભાત બનાવતા અને આફ્રિકાના લોકોને પણ આ દાળ-ભાત ભાવતા આફ્રિકા માં લોકો ઓધવજી ને મારાજ કહેતા ધીમે ધીમે ત્યાં કાપડની દુકાનમાં નોકરી મળી અને આગળ પ્રગતિ કરી તેઓએ કાપડનો વ્યવસાય શરૂ કર્યો.
વધુ આવતા અંકે
