પોરબંદરને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની કનેક્ટિવિટી મળે તેવા ઉજળી શકયતાઓ

ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ કરેલ ભલામણના પગલે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે “વંદેભારત એક્સપ્રેસ” ને પોરબંદર સુધી લંબાવવા માટે જરૂરી પરીક્ષણના આદેશ આપ્યા
પોરબંદર વિધાનસભા મત વિસ્તારના સક્રિય ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા પોરબંદરને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની કનેક્ટિવિટી મળે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને ૧૭ માર્ચ ૨૦૨૩ ના રોજ પત્ર લખી પ્રસ્થાપિત રાજકોટ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પોરબંદર સુધી લંબાવવા માટે રજુઆત કરવામાં આવી હતી. પત્રમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ હોવાની સાથે એક પ્રખ્યાત પ્રવાશન ધામ છે. સાથે જ પોરબંદર ગુજરાતમાં ભારતીય નેવી અને કોસ્ટગાર્ડનું હેડક્વોર્ટર છે, સાથે જ પોરબંદર એ બે સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ અને દ્વારકાની વચ્ચે નેશનલ હાઈવે ઉપર આવેલ મહત્વનું સ્થળ હોવાની સાથે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન અને ટર્મિનલ સાથેનું રેલવે સ્ટેશન ધરાવે છે. જેથી પ્રસ્થાવિત અમદાવાદ-રાજકોટ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પોરબંદર સુધી લંબાવવામાં આવે તો તેનો લાભ ઘણા લોકોને મળી શકે તેમ છે.
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની આ ભલામણના જવાબમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ૨૮ એપ્રિલ ૨૦૨૩ ના રોજ આપેલ પ્રતિ ઉત્તર આપીને “વંદેભારત એક્સપ્રેસ” ને પોરબંદર સુધી લંબાવવા માટે જરૂરી પરીક્ષણના આદેશ આપી દેવામાં આવ્યા હોવાની જાણ કરી છે. આમ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના સક્રિય પ્રયત્નોના કારણે પોરબંદર શહેરને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની કનેક્ટિવિટી મળે તેવા ઉજળી શકયતાઓ ઉભી થઈ છે.
