લાલકૃષ્ણ અડવાણીને મળશે ‘ભારત રત્ન’ સન્માન, ખુદ વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને આપી માહિતી

કેન્દ્રની મોદી સરકારે એક મોટી જાહેરાત કરી છે. સરકારે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન આપવાની જાહેરાત કરી દીધી છે. આ વાતની જાણકારી ખુદ પીએમ મોદીએ આપી હતી.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ‘મને એ વાત જણાવતાં ખુશી થઈ રહી છે કે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. મેં તેમની જોડે વાત કરી છે અને આ સન્માનથી સન્માનિત કરવા અંગે તેમને શુભેચ્છા પાઠવી હતી. અમારા સમયના સૌથી સન્માનિત રાજનેતાઓમાંથી એક, ભારતના વિકાસમાં લાલકૃષ્ણ અડવાણીનું યોગદાન અવિસ્મરણીય છે.’
લાલકૃષ્ણ અડવાણી પાર્ટીના એકમાત્ર એવા નેતા છે જે 1980માં ભારતીય જનતા પાર્ટીની રચના થઈ ત્યારથી લઈને અત્યાર સુધી સૌથી વધુ સમય સુધી પાર્ટીના અધ્યક્ષ રહ્યા છે. પ્રથમ વખત તેઓ 1986 થી 1990 અને ત્યારબાદ 1993 સુધી અધ્યક્ષ રહ્યા હતા. 1998 અને પછી તેઓ 2004 થી 2005 સુધી પાર્ટીના અધ્યક્ષ રહ્યા હતા. સાંસદ તરીકે ત્રણ દાયકાની લાંબી ઇનિંગ્સ રમ્યા પછી, અડવાણી પહેલા ગૃહ મંત્રી બન્યા અને બાદમાં અટલ જીની કેબિનેટ (1999-2004)માં નાયબ વડા પ્રધાન બન્યા હતા.
