પોરબંદરમાં ૨૯મો સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહ યોજાયો

રાજર્ષિ એવોર્ડથી ભાવપૂજન
શ્રી કેશવભાઈ હરિભાઈ ગોટી – સુરત
દેવર્ષિ એવોર્ડથી ભાવપૂજન
પૂજ્ય સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી મહારાજ- અમદાવાદ
બ્રહ્મર્ષિ એવોર્ડથી ભાવપૂજન
પ્રો. ડૉ. શશિપ્રભા કુમાર – નવી દિલ્હી

પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ૦૨/૦૨/૨૫, રવિવારના રોજ વસંતપંચમી પાવન દિવસે રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં શ્રીહરિ મંદિરમાં નૂતન ધ્વજારોહણ, સરસ્વતીમાતાનું પૂજન-અર્ચન, ગોવર્ધનપૂજન એવં ગોપૂજન સાથે ૧૯મા પાટોત્સવનો દિવ્ય પ્રારંભ થયો હતો.
આ સાથે પ્રાતઃ સત્રમાં ભાગવત ચિંતનશિબિર તથા બપોર પછીના સત્રમાં ૨૯મો સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહ યોજાયો હતો

ગોવર્ધન પૂજન એવં ગોપૂજન
શ્રીહરિ મંદિર પાટોત્સવના પ્રથમ દિવસ વસંતપંચમીના પરમ પાવન દિવસે પ્રતિવર્ષ અનુસાર પૂજ્ય ભાઈશ્રી અને મનોરથી પરિવાર દ્વારા શ્રીહરિ મંદિરના પ્રાંગણમાં શ્રીહરિ બગીચીમાં પ્રસ્થાપિત ગિરિરાજની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી અને સાથે-સાથે ગોપૂજન પણ સંપન્ન થયું હતું. આ પૂજાવિધિમાં દેશ-વિદેશથી આવેલા અતિથીઓ પણ જોડાયા હતા. પૂજ્ય ભાઈશ્રીએ આ અવસરે આશીર્વચન પાઠવીને કહ્યું હતું કે આ પાટોત્સવનો પ્રારંભ આપણે ગિરિરાજની પૂજા અને ઠાકોરજીને અન્નકૂટનો ભોગ અર્પણ કરીને કરી રહ્યા છીએ. સાંદીપનિના પરિસરમાં જે પણ નિત્ય અને નૈમિતિક એટલે કે ઉત્સવોમાં જે પણ સદ્કાર્યો થઇ રહ્યા છે એ શ્રીહરિની સેવાના ભાવથી થઇ રહ્યા છે. સાંદીપનિ સાથે જોડાયેલા શ્રીહરિભક્તો પણ જે સેવાઓ આપે છે એ પણ શ્રીહરિની સેવા ભાવથી જ આપે છે. આ સાથે પાટોત્સવના મુખ્ય મનોરથી શ્રી પ્રહ્લાદભાઈ ઠક્કર પરિવાર અને અન્નકૂટના મનોરથી ભગવદીયા દર્શનાબેન કાપડિયાના પરિવારજનોને પૂજ્ય ભાઈશ્રીએ આશીર્વાદ આપ્યા હતા.

ભાગવત ચિંતન શિબિર
શ્રીહરિ મંદિરના ૧૯મા પાટોત્સવના ઉપલક્ષ્યમાં પ્રાતઃ સત્રમાં રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં ભાગવત ચિંતન શિબિરનો દીપ પ્રાગટ્ય સાથે શુભારંભ થયો હતો. જેમાં ગુજરાતનાં વિદ્વાનો અને સાંદીપનિના ઋષિઓ દ્વારા શ્રીમદ્ભાગવત મહાપુરાણના વિષયોને લઈને ચિંતનાત્મક અને શાસ્ત્રીય શૈલીમાં પ્રવચન પ્રસ્તુત થયા હતા. પ્રાતઃ સત્રમાં સાંદીપનિ સંસ્કૃત પાઠશાળાના અધ્યાપક સહદેવભાઈ જોશી, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના અધ્યાપકશ્રી ડૉ. પંકજભાઈ રાવલ અને ડૉ. નરેન્દ્રભાઈ પંડ્યા દ્વારા પ્રવચન આપવામાં આવ્યું. આ સર્વે વિદ્વાનોનું પૂજ્ય ભાઈશ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું. આ પ્રવચન પ્રસાદનો પાટોત્સવમાં પધારેલા અતિથીઓએ તથા sandipani.tv યુ ટ્યુબ ચેનલના માધ્યમથી અનેક લોકોએ લાભ લીધો હતો.

૨૯મો સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહ
શ્રીહરિ મંદિરના ૧૯મા પાટોત્સવના પહેલા દિવસ તા. ૦૨-૦૨-૨૫ના રોજ અપરાહ્ન સત્રમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૨૯મા સાંદીપનિ ગૌરવ એવોર્ડ અર્પણ સમારોહ ૨૦૨૪નું આયોજન થયું. જેમાં ત્રણ મહાનુભાવોનું બ્રહ્મર્ષિ, દેવર્ષિ અને રાજર્ષિ એવોર્ડથી ભાવપૂજન કરવામાં આવ્યું હતું.
સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહનો પ્રારંભ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય દ્વારા તથા ઋષિકુમારો દ્વારા વેદમંત્રોના ગાનથી કરવામાં આવ્યો. ગૌરવ એવોર્ડ ચયન સમિતિના સભ્ય શ્રી ભાગ્યેશભાઈ જ્હા દ્વારા ગૌરવ એવોર્ડમાં પધારેલા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત તથા કાર્યક્રમની ભૂમિકા રજુ કરવામાં આવી.
ત્યારબાદ રમેશભાઈ ઓઝા અને અતિથી વિશેષ ખંભાળિયા વિધાનસભાના ધારાસભ્ય તેમજ ગુજરાતના પર્યટન, વન, પર્યાવરણ અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે વિશેષ સંસ્કૃત અધ્યયન કેન્દ્ર – જે. એન. યુ. નવી દિલ્હીના અધ્યક્ષા પ્રો ડૉ.શશિપ્રભા કુમારનું બ્રહ્મર્ષિ એવોર્ડ, હીરાઉદ્યોગક્ષેત્રના ઉદ્યોગપતિ તથા માતુ શ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ સુરતના સંસ્થાપક  કેશવભાઈ હરિભાઈ ગોટીનું રાજર્ષિ એવોર્ડ તથા હિન્દુધર્મ આચાર્યસભાના સંયોજક અને મહામંત્રી તેમજ રાજકોટ અને અમદાવાદ શિવાનંદ આશ્રમના અધ્યક્ષ પરમ પૂજ્યસ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી મહારાજનું દેવર્ષિ એવોર્ડ અર્પણ કરીને ભાવપૂજન કરવામાં આવ્યું.

આ અવસરે બ્રહ્મર્ષિ એવોર્ડનું વાંચન સાંદીપનિ સંસ્કૃત પાઠશાળાના અધ્યાપક ડૉ. ભરતભાઈ શીલુ, રાજર્ષિ એવોર્ડનું વાંચન સાંદીપનિ સંસ્કૃત પાઠશાળાના આચાર્ય શ્રી બિપીનભાઇ જોષી દ્વારા તથા દેવર્ષિ એવોર્ડનું વાંચન અધ્યાપક ડૉ. ગૌરીશંકરભાઈ જોષી દ્વારા કરવામાં આવેલ હતુ.

આ અવસરે ઉપસ્થિત મહાનુભાવો ગુજરાતના મંત્રીશ્રી મુળુભાઈ બેરા તથા પોરબંદરના ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા પ્રસંગોચિત વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને સાથે-સાથે પૂજ્ય ભાઈશ્રીએ પણ બ્રહ્મર્ષિ, દેવર્ષિ અને રાજર્ષિના જીવનીનો ઉલ્લેખ કરીને પ્રસંગોચિત આશીર્વચન પાઠવ્યા હતા.

પોરબંદરની સંસ્થાઓ દ્વારા મહાનુભાવોનું ભાવપૂજન
સાંદીપનિમાં આયોજિત ૨૯માં સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ પોરબંદરની સંસ્થા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર્સ ઓફ કોમર્સના સભ્યો દ્વારા, તેમજ પોરબંદર સમસ્ત બ્રહ્મસમાજની બહેનો દ્વારા પણ આ અવસરે બ્રહ્મર્ષિ, દેવર્ષિ અને રાજર્ષિ એવોર્ડ પ્રાપ્ત મહાનુભવોનું સન્માન કરવામાં આવ્યું હતું,

પૂજ્ય ભાઈશ્રીના સાન્નિધ્યમાં આયોજિત સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહના આ વિશેષ અવસર પર અતિથી વિશેષ ખંભાળિયા વિધાનસભાના ધારાસભ્ય તેમજ ગુજરાતના પર્યટન, વન, પર્યાવરણ અને સાંસ્કૃતિક બાબતો વિભાગના મંત્રીશ્રી મુળુભાઈ બેરા, પોરબંદરના વર્તમાન ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી બાબુભાઈ બોખીરીયા, જસ્ટીસ શ્રી ત્રિપાઠીજી, રાજર્ષિ ડૉ. વિરમભાઈ ગોઢાણિયા, એવોર્ડ ચયન સમિતિના સભ્યો ભાગ્યેશભાઈ જ્હા, પૂર્વ ગૃહમંત્રી શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી, સાંદીપનિના સંકુલના કો ઓર્ડિનેટર ડી. એચ. ગોયાણી, દેશ-વિદેશથી પધારેલા મહેમાનો, સાંદીપનિના ટ્રસ્ટીઓ, અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી.

શ્રીહરિમંદિરમાં યોજાયા અન્નકૂટ દર્શન
શ્રીહરિ મંદિરમાં શ્રીલક્ષ્મી નારાયણ ભગવાન સહિત સર્વે દેવી-દેવતાઓનો વિશેષ શૃંગાર કરીને અન્નકૂટનો ભોગ લગાવવામાં આવ્યો હતો. મધ્યાહ્નમાં પૂજ્ય ભાઈશ્રીના વરદ હસ્તે અન્નકૂટ આરતી કરવામાં આવી જેનો અનેક ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. અન્નકૂટ મનોરથના મનોરથી ભગવદીયા શ્રી દર્શનાબેન દિનેશભાઈ કાપડિયાનું આ અવસરે સ્મરણ કરીને પૂજ્ય ભાઈશ્રીએ અશીર્વાદ આપ્યા હતા.

સાંસ્કૃતિક કાર્યક્રમ
શ્રીહરિ મંદિર પાટોત્સવના પ્રથમ દિવસે સાંદીપની ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા રાત્રે સુંદર મજાના સંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.શ્રીહરિ મંદિરના ૧૯મા પાટોત્સવમાં આજે શ્રીહરિ મંદિરના તમામ વિગ્રહોને સવારમાં વિધિપૂર્વક નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું. તો આજે શ્રીહરિમંદિરમાં અન્નકૂટ દર્શન અને સાયં આરતી અને દિવ્ય શૃંગાર સાથે ઝાંખીના દર્શનનો અનેક ભાવિકોએ લાભ લીધો હતો.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!