પારંપરિક માધવપુર ઘેડના મેળાના ‘માંડવિયા’ બનશે વડોદરાના મહેમાન

જાણો શું છે માધવપુર ઘેડના મેળાનો મહિમા ! એક પત્ર વાંચી ભગવાન શ્રી કૃષ્ણ, રુકમણીજીને માધવપુર ઘેડ લઇ આવ્યા હતા અને લગ્ન કર્યા
રાજ્યના પોરબંદર જિલ્લાના ભગવાન શ્રી માધવરાયની આશિર્વાદિત ભૂમિ એવા માધવપુર ખાતે દરવર્ષે માધવપુર ઘેડના મેળાનું રંગેચંગે આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ભગવાન શ્રી કૃષ્ણના વિવાહના આ પવિત્ર ઉત્સવનો મહિમા રાજ્યના તમામ લોકો સુધી પહોંચે તે માટે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા વડોદરા સ્થિત અકોટા સ્ટેડિયમ ખાતે ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં પ્રિ-પ્રમોશનલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.


રાજ્યના પોરબંદર જિલ્લાના ભગવાન શ્રી માધવરાયની આશિર્વાદિત ભૂમિ એવા માધવપુર ખાતે દરવર્ષે માધવપુર ઘેડના મેળાનું રંગેચંગે આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ભગવાન શ્રી કૃષ્ણના વિવાહના આ પવિત્ર ઉત્સવનો મહિમા રાજ્યના તમામ લોકો સુધી પહોંચે તે માટે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા વડોદરા સ્થિત અકોટા સ્ટેડિયમ ખાતે ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં પ્રિ-પ્રમોશનલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

તો આવો જાણીએ માધવપુર ઘેડના આ મેળાના મહિમા વિશે..

માધવપુરનો મેળો એટલે કે અગ્નિદેવની સાક્ષીએ બે આત્માઓને લગ્નના પવિત્ર સબંધથી જોડતો જ્ઞાન, ભક્તિ અને હર્ષોલ્લાસનો મેળો. માધવપુરનો મેળો એટલે માધવરાયના પરિણયનો મેળો. આ મેળો ચૈત્ર સુદ નોમથી ચૈત્ર સુદ તેરસ સુધી પાંચ દિવસ સુધી આ મેળો ભરાય છે.

ભૌગોલિક રીતે ઉંધી રકાબી આકાર ધરાવતા ઘેડ વિસ્તારમાં માધવપુર નામે નાનું ગામ જનઆસ્થાનું કેન્દ્ર છે. દરિયા કિનારા સામે વસેલું આ ગામ ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીના વિવાહનું સાક્ષી છે. છેક હાલના અરુણાચલ પ્રદેશથી રુકમણીનો પત્ર લઇ ઘેડ આવેલા કાસદના સંદેશાથી આ ગામ પુરાણ પ્રસિદ્ધ બન્યું. ભગવાન શ્રી કૃષ્ણ એ સંદેશાને વાંચી રુકમણીજીને અહીં લઇ આવ્યા અને વિવાહ કર્યા. આ વાત ભગવાનશ્રી કૃષ્ણની શરણાગત વત્સલતાને દર્શાવે છે. ચોરી અને માયરાના સ્થાપત્યના અંશો માધવપુરે સાચવી રાખ્યા છે. કુદરતે માધવપુર અને આસપાસના વિસ્તારને ખોબલે ખોબલે સુંદરતા આપી છે. જે ભાવિકોને મોહી લે છે.

ચૈત્ર સુદ નોમ એટલે કે ભગવાન શ્રી રામના પ્રાગટ્ય દિવસે ગણેશ સ્થાપનાથી આ મેળાની શરૂઆત થાય છે. ત્યારબાદ રાત્રે ૦૯.૦૦ કલાકે ભગવાન માધવરાયજી અને ત્રિકમરાયજીના મંદિરેથી પહેલા ફૂલેકાનો પ્રારંભ થાય છે. ચૈત્ર સુદ દસમ તથા એકાદશીના દિવસે બીજું અને ત્રીજું ફુલેકું નીકળે છે.

ચૈત્રસુદ બારસ વિવાહ ઉત્સવ તરીકે શ્રદ્ધાપૂર્વક ઉજવાય છે. જેમાં મહેર સમુદાયના લોકો ધજાઓ સાથે શણગારેલા હાથી, ઉંટ અને ઘોડા પર સવાર થઈને રુકમણીનું મામેરું લઇ આવે છે. જ્યારે બપોરે ૧૨.૦૦ કલાકે મધુવનમાં આવેલ મહાપ્રભુજીના પવિત્ર સાનિધ્યમાં રુક્મિણીના પિયરપક્ષની જગ્યામાં ‘રુકમણી મઠ’ થી ભગવાન શ્રીકૃષ્ણનું સામૈયું કરવામાં આવે છે. અને ચાર ફેરા જેવા પ્રસંગો જોવા માટે દેશભરમાંથી શ્રધ્ધાળુઓ આવે છે. આ મેળા માટે ” માધવપુરનો માંડવો, આવે જાદવકુળની જાન” લગ્નગીત પણ જાણીતું છે.

હવે શ્રીકૃષ્ણ – રૂકમણી વિવાહનો આ લોકમેળો રાષ્ટ્રીય સ્તરે વિસ્તર્યો છે. રૂકમણી અરુણાચલ પ્રદેશના મનાય છે. જેથી અરુણાચલ પ્રદેશ, આસામ, સિક્કિમ, મણીપુર, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરાના લોકો પણ આ મેળામાં જોડાઈને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને ચરિતાર્થ કરી રહ્યો છે.

માધવપુરના આ અસલી સોરઠી મેળામાં નવપરણિત યુગલો સહિત યુવાનો પવિત્ર પ્રેમના સમન્વયની આ પળના અચૂક સાક્ષી બને છે. અહીં મેળામાં ભાતીગળ વસ્ત્ર-અલંકારો પહેરીને ગીતો ગાતી અને રાસડે રમતી વિવિધ સમાજની સ્ત્રીઓ સૌરાષ્ટ્રની સંસ્કૃતિના દર્શન કરાવે છે. આ મેળામાં સૌરાષ્ટ્ર તેમજ રાજ્યભરમાંથી ભજનકારો, લોક સાહિત્યકારો, લોકકથાકારો, ચારણો, બારોટો, ગઢવીઓ અને ગાયકો પોતાની આગવી શૈલીમાં ભજનો તથા રાસની રમઝટ બોલાવે છે. જગતના દુઃખોને ભૂલીને અબાલવૃદ્ધ સહિત તમામ વર્ગના લોકો પાંચ દિવસ સુધી ભક્તિ, આનંદ, ઉલ્લાસ અને આધ્યાત્મરસમાં લીન થઈને આ મેળામાં સહભાગી બને છે.

આ વર્ષે માધવપુર મેળાનો મહિમા ચોમેર પ્રસરાય તે માટે જુદા જુદા જિલ્લામાં પ્રિ-પ્રોમશનલ કાર્યક્રમો યોજાનાર છે. વડોદરામાં પણ યોજાનાર કાર્યક્રમમાં ગુજરાતના ૨૦૦ અને ઉત્તર પૂર્વીય રાજ્યોના ૨૦૦ કલાકારો સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરનાર છે. સૌરાષ્ટ્રની લોકબોલીમાં કન્યાપક્ષને માંડવિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે, આ ઇશાની રાજ્યના લોકો માંડવિયા બની વડોદરા પણ આવશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પહેલીવાર માધવપુરના મેળાને લઈને વડોદરા ખાતે કાર્યક્રમનું આયોજન તા.૦૨ એપ્રિલના રોજ થઈ રહ્યું છે, જેના સૌ વડોદરાવાસીઓ સાક્ષી બનવા જઇ રહ્યા છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!