મેળામાં ચકડોળ સેફ્ટી સવાલો : સર્ટિફિકેટની બબાલથી મેળા ચકડોળે ચડ્યા!
શું સરકાર મેળાની સેફ્ટીને લઈ કડક નીતિ ઘડશે કે નહીં?

(નિમેશ ગોંડલીયા)
ગુજરાતના મેળાઓમાં દર વર્ષે ચકડોળ શરૂ કરવા માટે સેફ્ટી અંગે ગંભીર સવાલો ઊભા થાય છે. ખાસ કરીને ચકડોળ સહિતની રાઈડ્સમાં સર્ટિફિકેટને લઈને વિવાદો સર્જાય છે. નિયમ પ્રમાણે મેળા શરૂ થાય તે પહેલાં ત્રણ મહિના પહેલા તમામ સેફ્ટી ચકાસણી પૂર્ણ થવી જોઈએ, પરંતુ હકીકતમાં મેળાના આરંભના પહેલેજ દિવસે સર્ટિફિકેટ અંગે બબાલ સર્જાઈ જાય છે. આ કારણે અધિકારીઓ અને ચકડોળના ધંધાર્થીઓ વચ્ચે અથડામણ થાય છે અને આખો મેળો ચકડોળે ચડી જાય છે.
રાજકોટ, પોરબંદર, જામનગર સહિતના જિલ્લાઓમાં યોજાતા મેળાઓમાં આ હવે મુખ્ય પ્રશ્ન બની ગયો છે. તાજેતરમાં આણંદ નજીક ગંભીરા બ્રિજ તૂટવાની ઘટનાએ પણ આ સવાલોને વેગ આપ્યો છે. આ ઘટનામાં બ્રિજ પર લટકતા ટેન્કરને એક પ્રાઈવેટ એજન્સી દ્વારા સહી-સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે આ એજન્સી પોરબંદરના માલિકની હતી. આ ઘટનાએ સાબિત કરી દીધું કે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પાછળ કરે છે, છતાં વ્યવહારિક કુશળતા પ્રાઈવેટ એજન્સીઓ પાસે જ જોવા મળે છે.
આ પરિસ્થિતિ વચ્ચે સ્પષ્ટ બની રહ્યું છે કે ગુજરાતના તમામ મેળાઓમાં ભ્રષ્ટાચાર તથા સેફ્ટી અંગેની બેદરકારી મોટા જોખમો ઊભા કરે છે. જો કોઈ કુશળ એજન્સીને જ જવાબદારી સોંપવામાં આવે અને મેળા શરૂ થાય તે પહેલાં ત્રણ મહિના પહેલા જ તમામ પ્રોસેસ તથા ચકાસણી પૂર્ણ કરવામાં આવે તો જ મેળાની રાઈડ્સ સલામત રીતે ચાલી શકે.
👉 આ એક વિચાર છે, હવે સવાલ એ છે કે શું સરકાર મેળાની સેફ્ટીને લઈ કડક નીતિ ઘડશે કે નહીં?
