સાંજનાં ૭ વાગ્યા પછી ટયુશન કલાસીસમાં બહેનોને ના બોલાવવા વિધાર્થી નેતાની રજૂઆત

સંચાલકોને નિયમોનું પાલન કરાવવા કરાઇ રજૂઆત, CCTV સહિત નિયમોનું ભાન કરાવવા વિધાર્થી નેતાની પત્રમાં રજૂઆત
પોરબંદર શહેરમાં ઘણા ખાનગી ટયુશન કલાસીસો,કોમ્પુટર કલાસીસો ચાલી રહ્યા છે.હાલ શિયાળાનો સમય ચાલી રહ્યો છે,ઠંડીનું પ્રમાણ પણ દિવસે દિવસે વધી રહ્યું છે શિયાળાને લઇને સાંજના સૂર્યાસ્ત પણ વહેલો થઇ જતો હોય છે.જેમને લઇને ૬ વાગ્યા પછી અંધારૂ થવા લાગે છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા પણ જે તે સમયે સાંજના ૭ઃ૦૦ વાગ્યા પછી ટયુશન કલાસીસો,કોમ્પુટર કલાસીસો પર બહેનોને ટયુશન માટે વર્ગો પર ના બોલાવવા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો આજે એ પરિપત્ર માત્ર કાગળો સમજી રહ્યા હોય એમ સંચાલકો રાત સુધી ટયુશન કલાસીસો વર્ગો ચલાવી રહ્યા છે,નિયમો સાથે કોઇ લેવા દેવા ના હોય તેમ બિન્દાસ કલાસીસો ચાલે છે.આજે વિધાર્થી નેતા કિશન રાઠોડ દ્વારા જિલ્લા કલેકટરને પત્રરૂપે રજૂઆત કરવામાં આવી છે કે સંચાલકોને નિયમોનું ભાન કરાવવામાં આવે તેમજ ખાસ કરીને ૭ઃ૦૦ વાગ્યા પછી દિકરીઓ/બહેનોને ટયુશન કલાસીસોમાં બોલાવવામાં ના આવે.
વાલીઓ દ્વારા વિધાર્થી નેતા કિશન રાઠોડને આ બાબતે જાણ કરવામાં આવી હતી,સાંજના સમયે સૂર્યાસ્ત વહેલો થવાથી અંધારૂ પણ વહેલું થતુ હોય છે તેમજ દિકરીઓને ઘરે પહોંચવામાં પણ હેરાન પરેશાન થવુ પડતુ હોય છે, ઘરના પરિવારના લોકો પણ ચિંતા કરતા હોય છે તેમજ હાલ ઠંડીનું પ્રમાણ પણ ખુબ જ વધી રહ્યુ છે તે બાબતને લઇને સંચાલકોને નિયમોનું પાલન કરાવવા કલેક્ટરને માંગ કરવામાં આવી હતી.
જે તે સમયે રાજકોટમાં અગ્નિકાંડ સમયે કલાસીસ/ઇન્સ્ટિટ્યૂટના વર્ગોને લઇને ઘણા નિયમનો સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા,CCTV સહિત નિયમો વિધાર્થીઓના હિતાર્થે બહાર પડાયા હતા પરંતુ સંચાલકો આ નિયમોનું માત્ર કાગળ સમજી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.હજુ આ સુધી ઘણા ટયુશન કલાસીસો નિયમોનું પાલન કરતુ નથી, જ્યારે કોઇ અનિચ્છનીય ઘટના બનાવ બનશે ત્યારે જ આ સંચાલકો જાગશે કે શું ??? આ બાબતે ખાસ યોગ્ય કરવામાં આવે તેવી માંગ વિધાર્થી નેતા કિશન રાઠોડ દ્વારા કલેકટરને કરવામાં આવી હતી.સાંજના ૭ વાગ્યા પછી ટયુશન કલાસીસો પર બહેનો/દિકરીઓને ટયુશન માટે બોલાવનાર સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઇ હતી તેમજ નિયમોનું પાલન નહિ કરનાર સામે પણ પગલાં લેવા રજૂઆત કરવામાં આવી હતી.
