અયોધ્યાધામ પ્રભુ શ્રીરામચંદ્ર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે સાંદીપનિ શ્રીહરિ મંદિરમાં ભવ્ય અને દિવ્ય ઉત્સવ ઉજવાયો

શ્રીરામજન્મભૂમિ અયોધ્યાધામમાં તારીખ: ૨૨ જાન્યુઆરીના, પોષ શુક્લ દ્વાદશીના રોજ, સોમવારે પ્રભુ શ્રીરામચંદ્ર ભગવાનનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રીનરેન્દ્ર મોદીજી, સંતો-મહંતો અને અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુબજ ઉત્સાહ સાથે ભક્તિભાવપૂર્વક અને ધામધૂમથી સંપન્ન થયો. ત્યારે સાથે-સાથે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી પોરબંદર સાંદીપનિના શ્રીહરિ મંદિરમાં પણ ભક્તિસભર વાતાવરણમાં અનેક કાર્યક્રમો સાથે અયોધ્યાધામ- શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા દિવસની આનંદ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી.
શ્રીહરિ મંદિરમાં શ્રીરામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ દિવસની ભવ્ય અને દિવ્ય ઉજવણી
શ્રીહરિ મંદિરમાં સવારે ૭:૩૦ મંગળા આરતીનિ સાથે શ્રીજાનકીવલ્લભ ભગવાનના અલૌકિક શૃંગાર દર્શનની દિવ્ય ઝાંખી કરવામાં આવી. ત્યાર બાદ પૂજ્ય ભાઈશ્રીના અનુજ ગૌતમભાઈ ઓઝા, કથાકાર ઋષિ શ્યામભાઈ ઠાકર, સર્વે ગુરુજનો અને ઋષિકુમારો દ્વારા સવારે ૯:૦૦ થી ૧૦:૩૦ દરમ્યાન સામુહિક સુંદરકાંડ પાઠ અને રામરક્ષાસ્તોત્ર પાઠ કરવામાં આવ્યો. ત્યાર પછી ૧૧:૦૦ વાગ્યે રાજભોગ આરતી કરવામાં આવી. રાજભોગ આરતી સંપન્ન થયા બાદ બપોરે ૧૨:૦૦ થી સાંદીપનિના ઋષિકુળ સર્વે અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ અયોધ્યાનગરીમાં શ્રીરામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠાવિધિ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ નિહાળ્યું હતું. જયારે આ પ્રાણપ્રતિષ્ઠાનિ વિધિ સંપન્ન થઇ રહી હતી ત્યારે ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર તેમજ શ્રીરામજીનો જયઘોષ કરવામાં આવ્યો અને એ સાથે-સાથે એ જ સમયે ૧૨:૩૦ વાગ્યે શ્રીહરિ મંદિરના સર્વે શિખરો પર અભિજીત મુહુર્તમાં નૂતન ધ્વજારોહણવિધિ પણ કરવામાં આવી. આ ઘટનાના સાક્ષી તરીકે પોરબંદર શહેરના અનેક ભાવિકો પણ ઉપસ્થિત રહ્યા હતા;
. સાંજે ૫:૩૦ થી ૬:૩૦ દરમ્યાન ઋષિકુમારો દ્વારા અખંડ રામનામ સંકીર્તન કરવામાં આવ્યું અને ૬:૩૦ થી ૭:૦૦ દરમ્યાન ઋષિકુમારો દ્વારા સામુહિક શ્રીહનુમાન ચાલીસા પાઠ સંપન્ન થયા. શ્રીહનુમાન ચાલીસાના પાઠ થયા બાદ સાંજે ૭:૦૦ વાગ્યે દીપોત્સવ સાથે શ્રીરામદરબારની સામૂહિક શયન આરતી કરવામાં આવી અને શયન આરતી બાદ શ્રીહરિ મંદિરની રામનામ સંકીર્તન સાથે પ્રદક્ષિણા કરવામાં આવી જેમાં ગૌતમભાઈ, સાંદીપનિના ગુરુજનો અને ઋષિકુળ અને ગુરુકુળના વિદ્યાર્થીઓ તથા પોરબંદર શહેરના ભાવિકો જોડાયા હતા. તેમજ દિવસ દરમ્યાન અનેક શ્રદ્ધાળુઓએ શ્રીજાનકીવલ્લભ ભગવાનના દર્શનનો લ્હાવો લીધો હતો.
