ખાખરાના ગૃહઉદ્યોગથી હું અને મારી સાથે જોડાયેલ ૧૦ બહેનો આત્મનિર્ભર બન્યા :નારી વંદન ઉત્સવ પોરબંદર જિલ્લો
ખાખરાના ગૃહઉદ્યોગથી હું અને મારી સાથે જોડાયેલ ૧૦ બહેનો આત્મનિર્ભર બન્યા – લાભાર્થી કોમલબેન સંજયભાઈ કોરડીયા
પોરબંદરમાં યોજાયેલ મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી પ્રસંગે સન્માનિત થયેલા ઉદ્યોગ સાહસિક મહિલાનો પ્રતિભાવ
પોરબંદરમાં નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. ગુજરાત સરકાર મહિલા આર્થિક વિકાસ નિગમ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી અંતર્ગત જિલ્લા વહિવટીતંત્ર પોરબંદર દ્વારા મહિલા સ્વાવલંબન દિવસ નિમીતે બિરલા હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ ઉદ્યોગ સાહસિક મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નવકાર ખાખરા ગૃહ ઉદ્યોગના કોમલ સંજય કોરડીયાને ઉદ્યોગ સાહસિક મહિલા તરીકે સન્માનિત કરાયા હતા. આ ઉદ્યોગ સાહસિક મહિલાએ સરકારનો આભાર વ્યક્ત કરતા તેમનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, હું મારા ખાખરાના આ ગૃહ ઉદ્યોગથી આર્થિક રીતે પગભર બની છું. ઘર ચલાવવામાં અને બાળકોના અભ્યાસ સહિતમાં મને આ ગૃહ ઉદ્યોગથી મદદ મળી રહી છે. મારી સાથે જોડાયેલા અન્ય ૧૦ બહેનોને ખાખરાના અમારા આ ગૃહ ઉદ્યોગથી રોજગારી મળી રહી છે. માત્ર મારૂં જ નહીં, પરંતુ મારી સાથે જોડાયેલ ૧૦ બહેનોનું ઘર અમારા આ ગૃહઉદ્યોગથી ચાલી રહ્યું છે. અમો અમારા બાળકોને સારામાં સારી સ્કૂલોમાં અભ્યાસ કરાવી શકીએ છીએ. સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓથી બહેનો આત્મનિર્ભર બની રહી છે અને મારું મહિલા સ્વાવલંબન દિવસ નિમીતે સન્માન કરાયું જેથી હું ધન્યતા અનુભવું છું અને સરકારશ્રીએ મને પ્રોત્સાહિત કરી છે જેથી હું હજૂ પણ આગળ વધીશ અને અન્ય બહેનોને પણ રોજગારી અપાવવામાં મદદરૂપ બની શકીશ.
