પોરબંદર શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ ઉજવાયો
તારીખ: 05 ઓક્ટોબર 2025, રવિવાર — પોરબંદર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, પોરબંદર નગર દ્વારા વિજયાદશમીનો ઉત્સવ હર્ષોલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. સંઘના પૂર્ણ ગણવેશમાં સજ્જ સ્વયંસેવકોના ભવ્ય પથ સંચલનથી સમગ્ર શહેર રાષ્ટ્રીય ભાવનાથી ગુંજી ઉઠ્યું હતું.

પોરબંદર પોલીસ પરેડ ગ્રાઉન્ડથી પ્રારંભ થયેલું આ પથ સંચલન નવો ફુવારો, કૈલાસ ગેરેજ, જુરીબાગ શેરી નં. ૫, પાણીનો ટાંકો, બિરલરોડ, કામદાર કલ્યાણ કેન્દ્ર વાળી શેરી, હાઉસિંગ બોર્ડ ગરબી ચોક, પ્રાગજીબાપા આશ્રમ રોડ થકી ફરી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી પૂર્ણ થયું હતું.

ઘોષ (બેન્ડ)ના શૂર અને શિસ્તબદ્ધ કદમોથી સ્વયંસેવકોનું સંચાલન સૌને પ્રેરણાદાયી લાગ્યું હતું. સંચલન દરમિયાન “પરમ પવિત્ર ભગવા ધ્વજ”નું શહેરની વિવિધ સંસ્થાઓના ભાઈઓ-બહેનો દ્વારા પુષ્પવર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

પથ સંચલન બાદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે “વિજયાદશમી ઉત્સવ અને શસ્ત્ર પૂજન” કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સંઘના અધિકારીઓ, કાર્યકર્તાઓ, સ્વયંસેવકો તથા મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

ઉદ્યોગપતિ કેતનભાઈ ગજ્જર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્વયંસેવકો દ્વારા કરાયેલા યોગાસન, દંડ પ્રહાર, સમતા પ્રયોગ, ઘોષ પ્રદર્શન વગેરે પ્રાત્યાક્ષિત નિહાળ્યા અને સૌના ઉત્સાહને બિરદાવ્યો હતો.
મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સૌરાષ્ટ્ર પ્રાંતના ઘોષ પ્રમુખ હિરેનભાઈ ચીકાણીએ જણાવ્યું હતું કે
“સંઘની દૈનિક એક કલાકની શાખા વ્યક્તિના ઘડતર સાથે રાષ્ટ્ર નિર્માણનું પવિત્ર કાર્ય કરે છે. 1925ના વિજયાદશમીના દિવસે ડૉ. હેડગેવારજીએ સ્થાપેલો સંઘ આજે શતાબ્દી વર્ષમાં પ્રવેશી રહ્યો છે. અસત્ય પર સત્યનો વિજય અને દેવી શક્તિનો પ્રતીક એવા આ દિવસે દરેક હિન્દૂ સમાજના ભાઈ-બહેનોને ઇશ્વરીય કાર્યમાં જોડાવું આવશ્યક છે.”

તેમણે સમાજ જાગરણના “પંચ પ્રવાહ” તરીકે
1️⃣ સામાજિક સમરસતા,
2️⃣ સ્વદેશી ભાવ જાગરણ,
3️⃣ પર્યાવરણ સંરક્ષણ,
4️⃣ કુટુંબ પ્રબોધન અને
5️⃣ નાગરિક કર્તવ્ય —
આ પાંચ પ્રવાહોને જીવનમાં ઉતારવાની પ્રેરણા આપી હતી.
આ કાર્યક્રમમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને વિજયાદશમીના પવિત્ર દિવસે શસ્ત્ર પૂજન કર્યુ હતું
(નિમેષ ગોંડલીયા ,પોરબંદર સમાચાર.કોમ સંપર્ક 9033220164)
